Ahmedabad : મસ્જિદ વન મૂવમેન્ટે શિક્ષા યાત્રા કેમ્પેઇનની શરૂઆત અમદાવાદની મુસ્લિમ કોમ્યુનિટી સંચાલિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના સંચાલકો અને પ્રિન્સિપલ સાથે ક્રેસેન્ટ સ્કૂલ જુહાપુરા ખાતે ૧૨ ડિસેમ્બર મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. મસ્જિદ વન મૂવમેન્ટના ઇન્ચાર્જ કૌસર અલી સૈયદે જણાવ્યું હતું કે, “શિક્ષા યાત્રા કેમ્પેઇન એ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પરીક્ષા લઈ દરેક સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી, સર્ટિફિકેટ અને પ્રોત્સાહક ઇનામો આપવાની પહેલ છે. કેમ્પેઇન દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિ કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા નું આયોજન કરવામાં આવશે. શિક્ષા યાત્રા કેમ્પેઇનનો ઉદ્દેશ્ય મુસ્લિમ સંગઠન અને સ્કૂલ ફેડરેશન વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવાનો છે, વિદ્યાર્થીઓ માટે સર્વગ્રાહી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા, અમે શિક્ષણ પર સકારાત્મક અસર ઊભી કરવાની ઈચ્છા ધરાવીએ છીએ.” રિપબ્લિક સ્કૂલના પ્રિન્સિપલ રફીક કોઠારીયા સાહેબે કહ્યું કે “આ બેઠક ભવિષ્યના પ્રયાસો માટે ઉત્પ્રેરક તરીકે સેવા આપી, શૈક્ષણિક તકો વધારવા અને વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત પ્રયાસોનો માર્ગ મોકળો કરશે. ૪૦૦૦થી વધારે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો કેમ્પેઈનમાં સામેલ કરવામાં આવશે.”ક્રેસેન્ટ સ્કૂલના એડમિનિસ્ટ્રેટર આસિફખાન પઠાણ સાહેબે કહ્યું “શિક્ષા યાત્રા એક પહેલ છે બદલાવ માટે જે જૂની ધારણાઓને બદલશે. વધુમાં વિસ્તારમાં રહેતા ભણવામાં પાછળ રહી ગયેલા ૨૦૦ જેટલા ૧૦માં ભણતા વિદ્યાર્થીઓને ભણવાની વ્યવસ્થા કરી આપવાનું કહ્યું હતું.”અંકુર સ્કૂલના પ્રિન્સિપલ મુબિન કાજી સાહેબે કહ્યું “શિક્ષા યાત્રામાં દરેક કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું આયોજન કરવુ જોઈએ. વિદ્યાર્થીઓના વિકાસ પર કેન્દ્રિત, આ પહેલ શિક્ષણ અને સમુદાયની પ્રગતિ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.”ન્યૂ એજ સ્કૂલના પ્રિન્સિપલ યાસીન રાજપુરા સાહેબે કહ્યું “સ્કૂલમાં અલગ અલગ કેટેગરીના વિદ્યાર્થીની લિસ્ટ બનાવીને તેમને અનુકૂળ લેવલનું અભ્યાસ ચલાવાની પદ્ધતિ અપનાવી શકાય છે, જેનાથી રીઝલ્ટ વધારી શકાય છે. અને ડ્રોપ આઉટ અને ફેલ થતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરી શકાય.”શિક્ષા યાત્રા કેમ્પેઇન માટે એક કમિટી બનાવવામાં આવી. આવનારા સમયમાં કમિટીનો વિસ્તાર કરવામાં આવશે. જેમાં બિઝનેસમેન, સમાજને આગળ વધારવાની લાગણી ધરાવતા અગ્રણી વ્યક્તિઓ અને સોશિયલ લીડર્સનો પણ સમાવેશ કરવામાં આવશે. બેઠકમાં છેલ્લે નક્કી કરવામાં આવ્યું હતું કે સમુદાયનાના ધાર્મિક અને સામાજિક જવાબદારીના મૂળ મૂલ્યોને ચોક્કસ રીતે અમલીકરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે, જેનાથી સમુદાયના ભવિષ્યના આશાસ્પદ યુવાનોને તેમની કારકિર્દીના સપના પૂરા કરવા માટે માંગ આધારિત શિષ્યવૃત્તિ પ્રદાન કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. અમારી પ્રતિબદ્ધતા અમારા ભાવિ યુવાનોના બહેતર અને સંપૂર્ણ કલ્યાણમાં પ્રતિબિંબિત થશે.
![](https://m8p5a4.n3cdn1.secureserver.net/wp-content/uploads/2023/12/IMG_20231214_115315-1016x1024.jpg)
![](https://m8p5a4.n3cdn1.secureserver.net/wp-content/uploads/2023/12/IMG-20231214-WA0125-1024x525.jpg)